મને બોલાવેલો પ્રથમ પ્રભુએ સ્વગૃહમહીં
બીમારી આવીને પણ ફળ વિના છેવટ ગઇ;
નવી પામ્યો કાયા, નવલ રચના જીવનતણી,
ઉઘાડ્યાં નેત્રો મેં નવલ લભતાં ચેતન અહીં;
તમે ત્યારે બોલ્યાં ચલ જગતની વસ્તુ સઘળી
રહે ના આવીને; મનુજ પણ ત્યાગી તન જતાં
અજાણ્યાં કો સ્થાને, સમય મુજ માટે ખલુ જવા
હતો, વૃદ્ધા હું તો; અનુગ્રહ તમે જીવિત રહ્યાં.
રહ્યો હું તે સારું સુખમય થયું જીવનમહીં
નહીં તો જોઇ ના શકત તમને કે નવ કરી
તમારી સેવાયે શકત, તમને શાંતિસુખથી
વળાવી ના છેલ્લે શકત, પ્રભુ પ્યારે પ્રથમ જો
મને આમંત્રીને નિજ ભવનમાં હોત વસવા
ધર્યું સ્થાન સ્નેહે, કવન પણ ક્યાંથી બનત તો ?
- શ્રી યોગેશ્વરજી