"સુમિરન કર લે, રામ સુમિર લે, કૌન જાને કલ કી,
ખબર નહિ ઈસ જગ મેં પલ કી.
તારામંડળ, રવિ, ચંદ્રમા, સબ હી ચરાચર કી,
ચાર દિનોં કે ચમત્કાર મેં બિજલી આ ચમકી."
ભારતવર્ષની પવિત્ર ભૂમિમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના અલૌકિક ભાવોને વહેતા કરનાર મહાપુરુષ ગુરુ નાનકદેવ પોતાના જીવનકાળ દરમિયાન સુલતાનપુરમાં પણ રહ્યા હતા. બીજાં અનેક સ્થળોની જેમ એ સ્થળને પણ મહાપુરુષના પદરજથી પવિત્ર બનવાનું સૌભાગ્ય સાંપડેલું.
પંજાબમાં કપુરથલા શહેરથી સોળેક માઈલ દૂર સુલતાનપુર છે. એક વખત એની જાહોજલાલી ખૂબ હતી. આજે તો એનો મોટા ભાગનો વિસ્તાર તૂટીને ઉજ્જડ બન્યો છે. છતાં એના જૂના અવશેષો પરથી એની પ્રાચીન ભવ્યતાનું અનુમાન સહેલાઈથી કરી શકાય છે.
ગુરુ નાનકદેવની બહેન નાનકીનું લગ્ન સુલતાનપુર થયેલું. એટલે એ નિમિત્તે એમને એ શહેરમાં રહેવાનું થયેલું. એની સુખદ સ્મૃતિરૂપે એ શહેરમાં બે ઐતિહાસિક યાત્રાસ્થળો આજે પણ જોઈ શકાય છે. આસપાસના વિસ્તારમાંથી અસંખ્ય સ્ત્રીપુરુષો અહીં યાત્રાએ આવે છે. એક સ્થળ છે બેરસાહબ અને બીજું સ્થળ છે હટસાહબ. એ બંને સ્થળોનો પરિચય કરવા જેવો છે.
બેરસાહબની જગ્યા એના નામ-સૂચન પ્રમાણે બોરડીની જગ્યા છે. એ બોરડીની પાછળ ઈતિહાસ છે. કહે છે કે, નાનકદેવે નહેરના કિનારા પરની એ જગ્યાએ બેસીને દાતણ કરેલું અને દાતણની ચીર જમીનમાં રોપેલી. કાળે એ ઘટનાને અમર બનાવવા ધાર્યું હોય તેમ, એ સ્થળ પર પાછળથી એક બોરડી થઈ ગઈ. આજે એ બોરડી વરસોથી યાત્રાનું ધામ બની ગઈ છે. ત્યાં એક વિશાળ ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુરુદ્વારાની પાછળના ભાગમાં નાનકદેવ દાતણ કરવા બેસતા તે સ્થાન પણ છે. બેરસાહબના એ સુંદર સ્થળમાં દર અમાસે મેળો ભરાય છે.
ત્યાંથી થોડેક છેટે હટસાહબની જગ્યા છે. કહે છે કે સુલતાનપુરમાં નાનકદેવ સરકારી નોકરી કરવા રહેલા ત્યારે માલ જોખીને આપતી વખતે ‘તેરા’ શબ્દ આવ્યો તે વખતે, સૌ કાંઈ ઈશ્વરનું જ છે એવા ભાવમાં, ‘હે પ્રભુ, તેરા તેરા’ એવા ખ્યાલ સાથે માલ આપતા જ ગયા. હટસાહબ એ પ્રસંગની સ્મૃતિ કરાવનારું સ્થળ છે. ત્યાં એક બાજુએ નાનકદેવના વખતમાં વપરાતાં તોલમાપનાં સાધનો પણ સાચવી રાખ્યાં છે.
ઉપરાંત, શેરશાહે બંધાવેલી ધર્મશાળા પણ જોવા જેવી છે.