સ્વાર્થ એ બંધ છે, ને નિ:સ્વાર્થતા એ મુક્તિ છે. દ્વેષ એ બંધ છે, ને પ્રેમ એ મુક્તિ છે. વિલાસ એ બંધ છે, ને સંયમ એ મુક્તિ છે. દ્વેષદર્શન એ બંધ છે, ને એકદર્શન-અભેદદર્શન એ મુક્તિ છે. બહારના પદાર્થો પાછળ સુખશાંતિ માટે પડવું એ બંધ છે ને અંદર જ તેનો પ્રવાહ પ્રાપ્ત કરવો એ મુક્તિ છે. દેહનો અધ્યાસ એ બંધ છે, ને આત્મતત્વની અનુભૂતિ એ મુક્તિ છે. કામ, ક્રોધ ને લોભ એ બંધ છે, ને નિ:સંકલ્પતા, નિર્લેપતા ને ક્ષમા તથા દયા એ મુક્તિ છે. આ અનુસાર આપણે જીવન બનાવીએ તો મુક્તિ એ આવતા ભવની વાત નહિ પણ આ જન્મની સત્ય પ્રતીતિ થઈ જાય છે.
- શ્રી યોગેશ્વરજી






















