આજ સુધી હું તને સમજી શક્યો ન હતો,
ને એટલે જ તારે માટે યોગ્યતા મેળવવા
મહેલ મૂકીને વનની વિજન વાટે ચાલી નીકળેલો.
આજ સુધી હું તને સમજી શક્યો ન હતો,
ને એટલે જ તારા પ્રેમનું પાત્ર બનવા
ને તારી કૃપાથી કૃતાર્થ થવા
ગહન ગિરિપ્રદેશની ગુફામાં છુપાઈ રહેલો.
આજ સુધી હું તારો પવિત્ર પ્રેમ જાણી શક્યો ન હતો,
તારું રહસ્ય સમજી શક્યો ન હતો,
ને એટલે જ યોગ ને જ્ઞાન તથા ઉપાસના
ને ભક્તિ-તપની અટપટી ગલીઓમાં ગૂંચવાઈ ગયેલો.
પણ આજ તને જાણી શક્યો,
ને ત્યારે જ સમજ્યો કે
તારે માટેના મર્મભેદક મૂક પોકારમાં જ સર્વ કાંઈ સમાઈ જાય છે,
સર્વે સાધન સમાપ્ત થાય છે.
- શ્રી યોગેશ્વરજી