પ્રશ્ન : કેટલાક સાધુ શરીરે ભસ્મ લગાડે, રાખોડી ચોળે છે, તેનું કારણ શું હશે ? તમે તે વિશે શું માનો છો ?
ઉત્તર : શરીરે રાખોડી ચોળવામાં કોઈ ઊંચો હેતુ છે ને આધ્યાત્મિક માર્ગના પ્રવાસીએ રાખ ચોળવી જ જોઈએ એમ હું માનતો નથી. આપણે ત્યાં આ વસ્તુ, ખાસ કરીને વૈરાગી સંપ્રદાયમાં, પરંપરાથી ચાલી આવે છે. પણ ઈશ્વરદર્શન કે યોગસિધ્ધિ માટે તે જરૂરી છે એમ માનવું ખોટું છે. અંધ પરંપરાથી જ ને માણસની મહાત્માપણાની ભ્રામક માન્યતામાંથી જ આ રૂઢિ ચાલી આવે છે. ઠંડા પ્રદેશમાં એટલી વસ્તુ જરૂર છે કે શરીરે રાખ ચોળવાથી ઠંડી ઓછી લાગે છે, ને શરીરે ગરમી ઉત્પન્ન થાય છે. પણ તેટલા જ માટે રાખ ચોળવા જેવી શરીરને ગંદુ કરવાની ક્રિયાનું સમર્થન થઈ શકતું નથી.
રાખ ચોળવાની પાછળ જે ભાવના છે તે રાખ ચોળનાર પણ ભાગ્યે જ જાણે છે. રાખ એ વિનાશનું ચિન્હ છે. માનવશરીર ને જગતમાં જે જે કંઈ છે તે બધું ક્ષણભંગુર છે ને એક દિવસ નષ્ટ થઈ જવાનું છે, ભસ્મિભૂત થવાનું છે. રાખ આ મહાન સંદેશ આપે છે ને રાખ સામે જોવાથી આ જરૂરી ફિલસૂફીનું ભાન થાય છે, ને તેની યાદ તાજી રહે છે. આ જ ભાવનાથી રાખ ચોળવાની રીતિ ચાલુ થઈ હશે. પરંતુ કાળ જતાં તે માત્ર નિર્જીવ પરંપરા બનીને જ જીવી રહી છે. વિનાશની આ ભાવના કાયમ રાખવા પણ માણસે ઈશ્વરના પવિત્ર મંદિર જેવા શરીર પર ભસ્મ ચોળવાની જરૂર છે જ એમ નથી. ભસ્મ ચોળ્યા વિના પણ આ ભાવના કાયમ રાખી શકાય છે ને તેવી રીતે તેને કાયમ રાખવામાં જ મહત્તા છે.
પ્રશ્ન : એક જ જન્મમાં મુક્તિ મળી શકે કે અનેક જન્મમાં ? મને લાગે છે કે અનેક જન્મમાં ધીરે ધીરે વિકાસ કરવાથી મળતી હશે.
ઉત્તર : એ બરાબર છે કે વિકાસ કરવાથી જ મુક્તિ મળે છે. પરંતુ તે એક જન્મમાં કે અનેક જન્મમાં થશે તે તમારા પર આધાર રાખે છે. ધોળકા અહિંથી ૪ ગાઉ કહેવાય છે પણ ધીમે ધીમે ચાલો તો સાંજ સુધીમાં માંડ પહોંચી શકો. પરંતુ સારી પેઠે ચાલવા માંડો તો ત્રણ કલાક તો પૂરતા થઈ પડે ! એવી જ રીતે મુક્તિનું છે. જો ધર્મ ને નીતિથી ચાલો, ને ખંતથી પુરુષાર્થ કરો તો એક જન્મમાં પણ મુક્તિ કે પૂર્ણતા મેળવી શકો, ને તેમ ના કરો ને ઊલટું અધર્મપરાયણ બનો તો અથવા ધીમો વિકાસ કરો તો અનેકાનેક જન્મો લાગી જાય. એટલે તો કહ્યું છે કે तद् दूरे तद्वन्तिके | એટલે કે તે દૂર પણ છે ને પાસે પણ છે. સજ્જન સાધકને માટે પાસે છે ને દુર્જનને માટે દૂર. પુરુષાર્થીને માટે પાસે ને પ્રમાદીને માટે દૂર. એવી રીતે તેનો ભાવાર્થ સમજવાનો છે.
પ્રશ્ન : અમારે સુધારક થવું છે તો કેટલીક સલાહ આપવા કૃપા કરો.
ઉત્તર : હું શું સલાહ આપું ? તમારી જાતે જ્યાં લગી સલાહ નહિ મેળવો ત્યાં લગી સાચા સુધારક થઈ શકશો નહિ. પહેલાં તમારી જાતને સુધારો. તમારા દુર્ગુણોને દૂર કરો. અહંતા, મમતા, રાગદ્વેષ, એ બધાથી મુક્ત બનો. તે પછી બીજાને આપવાનું તમારી પાસે શું છે તે નક્કી કરો. તે પછી જ જે કંઈ હોય તે માન, પ્રતિષ્ઠા કે લક્ષ્મીની લાલચ વિના કેવળ ઈશ્વરના હાથમાં હથિયાર બનીને બીજાનો સુધાર કરવાનો પ્રયાસ કરો. તો તે સારી રીતે સફળ થઈ શકશે ને શોભશે. તમે સુધારક ના બનો તેમ હું ઈચ્છતો નથી. પણ સુધારો તમારી અંદરથી જ શરૂ થવો જોઈએ એટલું જ મારે કહેવાનું છે. સૌથી પહેલી ને મહત્વની સલાહ આ છે. બીજી સલાહ તે પછી જ આપી શકાય તેમ છે.