if (!window.top.location.href.startsWith("https://www.swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન : ઈશ્વરને મેળવવા સૌથી પહેલાં શું કરવું જોઈએ ?

ઉત્તર : સૌથી પહેલાં ને પછી પણ ઈશ્વરને માટેની તરસ જગાવવી જોઈએ. તો બેડો પાર થઈ જાય.

પ્રશ્ન : ભગવાન શંકરનું દર્શન થઈ શકે ખરું ?

ઉત્તર : જરૂર થઈ શકે. તેમાં કોઈ જાતના સંદેહને સ્થાન જ નથી.

પ્રશ્ન : શું  કરવાથી થઈ શકે ?

ઉત્તર : આ માટે મુખ્યત્વે બે વસ્તુ કરવાની જરૂર છે. એક તો તમારી અંદર અમંગલ તત્વો કે અવગુણો છે, તેને કાઢી નાખીને મંગલ તત્વો એટલે સદગુણોની પ્રતિષ્ઠા કરો. અસત્યને બદલે સત્ય, દ્વેષને બદલે પ્રેમ, ચંચલતાને બદલે સ્થિરતા ને ધીરજ તેમજ વિષયપરતાને બદલે વિષયોની નિર્લેપતાને કેળવો. દુર્વિચારને સ્થાને સુવિચાર ને સદભાવનાની સ્થાપના કરો ને સંકુચિતતાનો ત્યાગ કરી હૃદય તેમજ બુધ્ધિને વિશાળ બનાવો. ટૂંકમાં શાસ્ત્રોએ જેને દૈવી સંપત્તિ કહી છે તે મેળવીને તમારા જીવનને શિવસ્વરૂપ કે કલ્યાણકારક બનાવો.

આની સાથે સાથે બીજી મહત્વની વાત પાર્વતી બનવાની છે. આનો અર્થ એમ નથી કે તમારે સ્ત્રી બની જવું પડશે. કહેવાનો ભાવાર્થ એ છે કે જેમ પાર્વતીએ હિમાલયને ત્યાં જન્મ લઈ શંકરને પ્રાપ્ત કરવાનો મક્કમ નિરધાર કર્યો હતો તેમ તમે પણ આ સંસારમાં જન્મીને વિવેકના પ્રદેશમાં જાગો ત્યારથી જ શિવસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ માટે સંકલ્પ કરી લો. પાર્વતીજીની જેમ મનોમન શિવને જ વરી લો. આ પછી પાર્વતીએ જેમ શિવને પ્રસન્ન કરવા કઠોર તપ કર્યું, રાતદિવસ તનમનને એકાગ્ર કરીને શિવને પ્રાર્થવા માંડ્યું, તેમ તે પ્રભુનું સ્મરણ કરતાં ને તેને માટે પ્રાર્થતા તમે તપ કરો. પાર્વતીજી જેવાં કષ્ટો તમારે સહેવાના નથી, પણ તેમની જેમ એક મનથી શંકરની આરાધનામાં જ લાગી જવાનું છે.

તમારું મન સંસારના બધા જ પદાર્થોમાંથી હઠીને કેવલ શિવમાં લાગવું જોઈએ. તમારી રગેરગમાં ‘શિવ શિવ’નો અખંડ ધ્વનિ ચાલવો જોઈએ. ને શંકરની જ ભાવનામાં તમારે લીન બનવું જોઈએ. સંસારના ભોગ-વૈભવને ને વિનાશશીલ પદાર્થોને - અને ઉમાની જેમ સામ્રાજ્યના ઐશ્વર્યને પણ તમારે શંકરને માટે ગૌણ ગણવા જોઈએ, ને એક શિવને માટે તમારા અંતરમાં વિરહની ભયંકર જ્વાલા જાગી જવી જોઈએ. આનું નામ જ તપ. પાર્વતીએ આવું જ તપ કર્યું હતું, તેનું હૃદય આવા જ તપનું બનેલું હતું. આવી લગની ને પ્રેમભાવનાને કેળવો તો ભગવાન શંકર તમને જરૂર મળે. પાર્વતીના તપ- ચરિત્રમાંથી આ શિક્ષા મળે છે. તેને ગ્રહણ કરી તમે પણ પાર્વતી બનો. તમે જ્યાં પાર્વતી બન્યાં એટલે શંકર દૂર રહી શકે જ નહિ. પાર્વતીથી શંકર દૂર રહી શકતા જ નથી, એ નિયમ છે. આ નિયમ પ્રમાણે આજ લગી કૈંક બડભાગીએ શંકર ભગવાનના દર્શન કર્યા છે, ને તમે પણ જરૂર કરી શકશો.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.