કેટલાક વિદ્વાનો કહે છે કે ગીતાની સાચી શરૂઆત હવે અહીંથી જ માનવી જોઈએ. બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી જ ગીતાની જ્ઞાનગંગા ભગવાનના હૃદયના ગોમુખમાંથી શરૂ થાય છે. આપણે કહીશું કે આ વાત બરાબર છે. છતાં તે ગંગા શરૂ થઈ શા માટે ? ગીતાના પહેલા ને બીજા અધ્યાયની શરૂઆતની વાત વાંચ્યા વિના તેનો ખ્યાલ સૌને કેવી રીતે આવી શકશે ? ગૌમુખથી ગંગા શરૂ થાય છે એ સાચું છે ; પણ હિમાલયની અંદરના ભાગમાં પણ તેનું અસ્તિત્વ નથી એમ કોણ કહી શકે ? મકાનનું મૂલ્ય વધારે છે એ ખરું, પણ પાયાનું મૂલ્ય ઓછું છે એમ પણ કોણ કહી શકશે ? પાયા પર તો મકાનનો આધાર છે. મૂળમાં તો વૃક્ષની સ્થિરતા રહેલી છે. એટલે જ આપણે કહીએ છીએ કે ગીતાના પ્રારંભના શ્લોકો પણ ભલે રહ્યા. તેમનું મૂલ્ય પણ ઓછું આંકવાની જરૂર નથી. ગીતાના મહાન અંકના ઉપોદ્ ઘાત જેવા તે શ્લોકો ગીતા કેવા સંજોગોમાં કહેવાઈ તેનો ખ્યાલ આપે છે ને અર્જુનના મનનો પણ ચિતાર ધરે છે, તેનું મૂલ્ય ઓછું નથી.
ગીતા એકાંત જંગલમાં નહિ, પણ યુદ્ધના કોલાહલની વચ્ચે કહેવાઈ છે તેથી તેની કિંમત વધે છે, ને જીવનના કોલાહલની વચ્ચે જીવનારા માણસોને માટે પણ તે ઉપયોગી અને પ્રેરણા દેનારી છે એ સાબિત થાય છે. આ વસ્તુ ઘણી મહત્વની છે. કોઈ કોઈ વાર માણસો મને પ્રશ્નો પૂછે છે કે ‘સંસારના અટાપટા વ્યવહારની વચ્ચે રહીને પ્રભુપ્રાપ્તિ માટેનો પ્રયાસ કરી શકાય ખરો ? અથવા તો પ્રવૃત્તિની અંદર રહીને જ્ઞાન મેળવી શકાય ખરું ?’ આવા માણસોનો સ્વાભાવિક ખ્યાલ એવો હોય છે કે જ્ઞાનની પ્રાપ્તિ તો કોઈ એકાંત નદીતટના પ્રદેશમાં કે પર્વત પર જ થઈ શકે. સંસારના વ્યવહારનો ત્યાગ કરવો જ જોઈએ. તે વિના જ્ઞાન મળી શકે નહિ, શાંતિ પણ સાંપડી શકે નહિ, કે ઈશ્વરની કૃપા પણ થાય નહિ. પણ ગીતાનો વિચાર કરતાં સમજાશે કે આ દૃષ્ટિ અધૂરી છે, આ વિચારસરણી ભૂલભરેલી છે.
જ્ઞાન કે ઈશ્વરની કૃપા સંસારના વ્યવહારથી દૂર રહીને જ મેળવી શકાય છે એ માન્યતા બરાબર નથી. હા, કોઈ માણસ કોઈ કારણથી વ્યવહારથી દૂર જઈને એકાંતનો આશ્રય લે ને જ્ઞાન તથા ઈશ્વરની કૃપા મેળવવાનો પુરૂષાર્થ કરે, ને તે પુરૂષાર્થમાં સફળ પણ બને. પણ તેથી જ કાંઈ સૌએ એ માર્ગનું ફરજીયાત અનુકરણ કરવું જ જોઈએ એવો નિર્ણય આપી શકાતો નથી. માણસ વ્યવહારમાં રહે કે ના રહે તે તેની ઈચ્છા ને અનુકૂળતા પર અવલંબે છે. તે બાબતમાં બળજબરી કરવી બરાબર નથી. બળજબરી ફક્ત ઈશ્વરની કૃપા કે જ્ઞાનની પ્રાપ્તિ માટેની યોગ્યતા બાબતે થઈ શકે છે. માણસ વ્યવહારની વચ્ચે રહે કે ના રહે એ ગૌણ વસ્તુ છે. પ્રધાન વસ્તુ તો એ છે કે તેણે પોતાનું જરૂરી ઘડતર કરવું જોઈએ : આવશ્યક અધિકાર મેળવવો જોઈએ, તે થતાં બીજું બધું જ કામ થઈ રહે છે. ગીતાનો ઉપદેશ કોઈ નિતાંત એકાંત સ્થાનમાં કે જંગલમાં અપાયો નથી. તે તો વ્યવહારની વચ્ચે ને યુદ્ધના મેદાનમાં અપાયો છે. એક બાજુ શંખના નાદ થઈ રહ્યા હતા, ને તલવાર તથા ધનુષ્યબાણ ધારણ કરીને યોદ્ધાઓ લડવા માટે તલપાપડ થઈ રહ્યા હતા, એ વખતે ગીતાની અમરવાણી વહેતી થઈ છે. ગીતાની પતિતપાવની ને પુણ્યવાનને પણ વધારે પાવન કરનારી ગંગા એ વખતે પ્રકટ થઈ છે. ગીતાના જ્ઞાનનો આવિર્ભાવ કોઈ નિઃસ્તબ્ધ જંગલમાં નહિ, પણ કોલાહલમાં થયો છે.
અર્જુને શું કરવું તેની સમજ ન પડવાથી છેવટે ભગવાનનું શરણ લીધું, ને આકુળવ્યાકુળ થઈને પોકાર કરી દીધો કે હે પ્રભો ! હું તમારે શરણે આવ્યો છું. મને ઉપદેશ આપો. મારે માટે જે યોગ્ય હોય તે માર્ગ મને બતાવો. પરિણામે ભગવાને જ્ઞાનની પવિત્ર ગંગાને પ્રકટ કરી. તે જ પ્રમાણે પ્રવૃત્તિ કે વ્યવહારની વચ્ચે રહીને પણ જે ભગવાનનું શરણ લે, ને ભગવાનની મદદની માંગણી કરે, તે ભગવાનની વાણી સાંભળી શકે, ભગવાનની કૃપા મેળવી શકે, જ્ઞાનની પવિત્ર ગંગામાં સ્નાન પણ કરી શકે. અર્જુનની આજુબાજુ ભયંકર પ્રવૃત્તિ હતી. છતાં તેણે ભગવાન તરફ દૃષ્ટિ ફેરવી તો તેને જ્ઞાન મળી શક્યું.
અર્જુન જો અહંકારમાં મસ્ત બનીને બેસી રહ્યો હોત તો જ્ઞાનગંગામાં ન્હાવાનો આ પવિત્ર લાભ તેને મળી શકત ખરો કે ? માણસે પણ પ્રવૃત્તિ કરતાં કરતાં ખૂબ નમ્રતા ધારણ કરવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને વાંસળી પર ખૂબ પ્રેમ હતો. વાંસળી પર ખૂબ પ્રેમ હતો. વાંસળીના મધુર સ્વરમાં જ્યારે તે પોતાના હૃદયને વહેતું કરતાં, ત્યારે માનવ, પશુ, ને પંખી તો શું, પણ જડ ગણાતા પદાર્થો પણ દ્રવી જતા. ગોપીઓએ વાંસળીને પૂછ્યું કે તારામાં આટલું બધું જાદુ છે તેનું કારણ શું ? વાંસળીએ જવાબ આપ્યો કે કારણ એ જ કે હું પોલી થઈ ગઈ છું. માણસ પણ જો પોલો થઈ જાય તો ભગવાનનો પ્યારો બની જાય, ને તેના જીવનમાંથી સ્વર્ગીય સંગીત છૂટવા માંડે. તેને ભારે કરનાર કોણ છે ? અભિમાન. સાધારણ ભાષામાં કહીએ તો હું ને મારૂં. આ અભિમાન દૂર થઈ જાય, ને ? ‘હું ને મારૂં’ ને ઠેકાણે ‘તું ને તારું’ થઈ જાય, એટલે જીવન ધન્ય બની જાય. અર્જુનના જીવનમાં આ સંદેશ સમાયેલો છે.
માણસે શાંતિના કેવા સ્વરૂપ બની જવું એનું ઉત્તમ ઉદાહરણ શ્રી કૃષ્ણના જીવનમાંથી મળી રહે છે. ગીતામાં પૂર્ણ કે મુક્ત પુરૂષનાં જે લક્ષણો છે તે બધાં શ્રીકૃષ્ણના જીવનમાં મૂર્તિમંત બની ગયાં છે. શ્રીકૃષ્ણની શાંતિ તો જુઓ, તેમના અદ્ ભૂત મનોબળનો જરા વિચાર તો કરી જુઓ. જરાક ગડબડ થતી હોય તો માણસને વાંચવાનું, લખવાનું કે સ્થિરતાથી વિચાર કરવાનું પણ નથી ફાવતું. તે માટે માણસ તદ્દન શાંતિ શોધે છે. પણ ભગવાને તો યુદ્ધની કોલાહલવાળી ભૂમિમાં ઊભા રહીને જ ગીતાનો ઉપદેશ આપ્યો છે, તેમની આંતરિક શાંતિનું ઊંડાણ કેટલું બધું અગાધ હશે ? માટે તો તેમને પુરૂષોત્તમ ને યોગેશ્વર કહ્યા છે. એવી શાંતિ મેળવવા માણસે કમર કસવી જોઈએ. એવું મનોબળ માણસનો ઉત્તમ આદર્શ બની રહેવું જોઈએ.
ભગવાન તો શાંતિનું સાકાર સ્વરૂપ હતા. તેમની શાંતિનો કોઈયે પ્રકારના સંજોગોમાં ભંગ થાય તેમ ન હતું. એટલે જ અર્જુનનો વિષાદ જોઈને તે હસી રહ્યા હતા. પણ ખાલી હસતા જ રહેવાથી કાંઈ કામ સરે તેમ ન હતું. અર્જુને તો પોતાનો ઉભરો ઠાલવી દીધો ને ભગવાનના ઉપદેશની રાહ જોતો તે બે હાથ જોડીને બેસી પણ રહ્યો. હવે ભગવાને વિચાર કર્યો કે અર્જુનના વિષાદ રોગનો ઈલાજ કરવો જોઈએ. એ કામ તેમને માટે મુશ્કેલ ન હતું. વિષાદનો ઈલાજ કરવાની શરૂઆત કરતાં તેમણે કહ્યું કે હે અર્જુન, તારા શબ્દો તો ઘણા જ સુંદર છે. કોઈ પંડિતને છાજે તેવી ભાષા ને શૈલીમાં તેં યુદ્ધ ના કરવાના કારણો રજૂ કરી દીધાં છે પણ સ્વજનોનાં મૃત્યુના વિચારથી તને કંપારી છૂટી છે, તે જોઈને મને આશ્ચર્ય થાય છે. કેમ કે જે જ્ઞાની કે પંડિત છે તે જન્મ ને મરણના વિચારથી ડરતો નથી, ને મૃત્યુનો શોક પણ કરતો નથી. આ શબ્દોની શરૂઆત સાથે ગીતાની જ્ઞાનગંગાનો જન્મ થાય છે. તે ગંગાનું સ્વરૂપ આગળ જતાં વિવિધરંગી ને વિરાટ થતું જાય છે. એ સ્વરૂપ ક્રમેક્રમે મનન કરી શકાય તે માટે તેની અધ્યાયવાર વહેંચણી કરવામાં આવી છે. એ સ્વરૂપ પર ઉડતી નજર ફેરવવાનો પ્રયાસ આપણે આ નાનાસરખા વાર્તાલાપમાં કરી રહ્યા છીએ.
- શ્રી યોગેશ્વરજી