દેવપ્રયાગ
તા. ૨૪ ડીસે. ૧૯૪૬
પ્રિય નારાયણ,
દિવસો પર દિવસો ચાલ્યા જાય છે. માણસની મહામૂલી શક્તિ ને જિંદગી સમાપ્ત થતી જાય છે. એક મહાન અવસર, આત્મદર્શન કે ઈશ્વરદર્શન કરવાનો એક અપૂર્વ સમય વહી જાય છે. જે વાસનામાં જ રત છે, તે તો હંમેશને માટે કુંભકર્ણની નિદ્રામાં છે. પરંતુ જ્ઞાનવાનને માટે સમય વ્યર્થ વહી જવો એ મોત છે. સાથે સાથે એ પણ વાત છે કે સંસારમાં માણસને પ્રતિકૂળતા વિશેષ છે. છતાં ધીર ગંભીર ને સત્યાન્વેષી થઈને જ રહેવું હરદમ ઉચિત છે. જેને ઉચ્ચ માનીએ છીએ તેને આચરતા થઈ જવામાં જ સાચું ડહાપણ છે. ધીરે ધીરે માણસ ખૂબ વિકાસ પ્રાપ્ત કરી લે છે.
ઈશ્વરની દયાથી બધી જ પ્રતિકૂળતા અનુકૂળતા થઈ જાય છે. માટે પ્રેમ ને પ્રેમ જ સાધ્ય છે. આ ઈશ્વરી પ્રેમ જ સંસારમાં અમૃત છે, રસ છે, જીવન છે.

