દેવપ્રયાગ
તા. ૧૪ ઓકટો. ૧૯૪૬
પ્રિય નારાયણ,
પત્ર મળ્યો. ખૂબ ખૂબ આનંદ થયો. આપણો પ્રેમ તો અપાર્થિવ છે. એટલે તેને દેશ કે કાલના બંધન નથી. તેમ જ તે નિરપેક્ષ છે એટલે હરહંમેશ વહેતો જ રહે છે, ને પોતાનામાં જ તૃપ્તિ માને છે. દેશ ને કાલના પ્રાકૃતિક જગતમાં સ્થૂલરૂપે આપણે ગમે તેટલા દૂર હોઈએ, સૂક્ષ્મ જગતમાં આપણે તદ્દન સન્નિકટ છીએ એમાં લવલેશ સંદેહ નથી. પ્રેમ વિના જીવનની કંઈ જ કીંમત નથી. પણ જ્યારે જીવન તેથી રહિત થઈ જાય છે, કે પ્રેમને સ્થાને પાર્થિવ પ્રેમ કે કામ પોતાની પ્રતિષ્ઠા જમાવે છે ત્યારે જીવનમાં અનેક દુ:ખો ઊભાં થાય છે, જેનો ઉપાય સંસારના બીજા કોઈએ પદાર્થમાં મળી શકતો નથી.
દશરથાચલ પર્વત પરથી અહીં આવ્યે મને થોડાક જ દિવસ થયા છે. પર્વત ખૂબ રમણીય છે. ઊંચા ઊંચા ચીડનાં વૃક્ષ અસંખ્ય સંખ્યામાં ત્યાં આવેલા છે. જાણે અનંત વર્ષોથી પોતાની એકનિષ્ઠ મનોવૃત્તિથી કોઈ તપસ્વી તપ કરી રહ્યા હોય એવું લાગે છે. હમણાં અહીં જ રહેવા વિચાર છે. દિવાળી અથવા કાર્તિક પૂર્ણિમા સુધી તો અહીં જ રહેવા વિચાર છે. પછી જેવી ઈશ્વરેચ્છા. હમણાં હમણાં એક વિશેષ કાર્યમાં પડ્યો છું.
*
ભારતની અશાંતિ તેમ જ કષ્ટપ્રદ ભયંકર સ્થતિને જોઈને ખૂબ ચિંતા થાય એ માનવજાતિના કોઈ પણ પ્રેમીને માટે તદ્દન સ્વાભાવિક છે. મારું હૃદય પણ ખૂબ જ વ્યથિત થઈ ગયું છે. આવો બર્બરતાપૂર્ણ વર્તાવ અને આ અત્યાચારની જોડ ભારતના ઈતિહાસમાં મળવી મુશ્કેલ છે. મેં તો પ્રથમથી જ કહ્યું હતું કે અલગ થવામાં લીગનો હેતુ પોતાની રક્ષાનો નહિ પરંતુ અલગ શાસન પ્રાપ્તિનો, ને તે દ્વારા પોતાની સામ્રાજ્ય લાલચુ નીતિને નગ્ન હિંસા કે યુદ્ધ અથવા કૂટ ઉપાય દ્વારા પોષવાનો ને હિંદુ સ્થાનને નષ્ટ કરવાનો જ હતો. આજે ભલે શાંતિ દેખાય, કે લીગના આગેવાનો પોતાનાં કાળાં કૃત્ય પર પડદો ઢાંકવા રાગ બદલીને ફરીથી શાંતિ-સંપની વાતો કરે; પણ એ નક્કી છે કે લીગના લોહીમાં પેસી ગયેલી આ સ્વાર્થનીતિ દુર થવાની નથી ને તેનો ભય હિંદુસ્તાન પર જરૂર ઝઝૂમે છે. મારા શરીરનો ઉપયોગ ભારતના મહાન હિત તેમજ સંસ્કૃતિ રક્ષા પાછળ કરવાનો મારો મનોરથ તેમજ નક્કર સંકલ્પ છે, પરંતુ તે માટે હું મારી ઈચ્છા પ્રમાણેની શક્તિની રાહ જોઈ રહ્યો છું. કાર્ય માટે મને ઈશ્વરી સૂચના તેમ જ પ્રેરણા પણ થઈ ચૂકી છે, ને તેથી જ ઈશ્વર મને શક્તિભૂષિત પણ કરશે જ, ને તે ધારશે તો સમય પર મારો પ્રયાસ જરૂર સફળ બનશે. આજે મારી ક્ષણેક્ષણ આ ચિંતામાં પસાર થાય છે અને એક સર્વત્યાગી પરિવ્રાજક છતાં ભારતના આ મર્મકાળમાં મારું હૃદય તેના સમાચાર સાંભળીને હાલી ઊઠે છે. ઈશ્વરના દ્વાર પર હું પોકાર કરીશ, મારો કરૂણ અવાજ ચાલુ રાખીશ, ને જ્યાં સુધી તે તેને નહિ સાંભળે કે યોગ્ય પ્રત્યુત્તર નહિ આપે, હું મારા કાર્યને છોડીશ નહીં. મારી આધ્યાત્મિક ક્ષતિની પૂર્તિ કરવાની મારી સાધના છે. ને મારો નિર્ણય છે કે ઝાઝો સમય તેમાં નહિ લાગે. ઉપયુક્ત સમયે જ ઈશ્વરનું સૌ કામ થાય છે, થવું જોઈએ; તે પ્રમાણે યોગ્ય સમય આવે છે, ને તેને માટે આજે મારી તૈયારી છે.
ભારતીય અશાંતિના મૂળ કારણની મેં શોધ કરી છે ને તેના ઉપાયને પણ શોધ્યો છે. મારે કહેવું જોઈએ કે વર્તમાન સમયના સર્વ અગ્રગણ્ય નેતાઓ કરતાં મારા મનમાં જુદી જ વસ્તુ ઘૂમી રહી છે, પણ તે જ મને સત્ય અને એક માત્ર નિરાકરણની મૌલિક વાત લાગી છે, ને તેથી જ તે મને પ્રિય છે. અલબત્ત, આ વિચાર એકદમ નૂતન નથી, પણ આજની સ્થિતિમાં તદ્દન નવીન છે, ને તેથી જ તેને પ્રકટ કરવાનો યોગ્ય સમય ના આવે ત્યાં લગી તેને ગુપ્ત રાખવાની જરૂર છે. વધારે ને વધારે નમવાથી હવે ચાલવાનું નથી, ને પરિણામે સંભવ છે કે આપણે મહાન ફટકો ખાવો પડશે. આપણે સ્વાયત્ત થવું જોઈએ ને સંસ્કૃતિના આધાર પર સંગઠિત બનવું જોઈએ. આ વિના કોઈ માર્ગ નથી. જ્યારે આપણે પ્રબલરૂપે સંગઠિત થઈશું ત્યારે લીગ આપણી સામે કંઈ જ વિરોધાત્મક નહિ કરી શકે.
મેં આગળ કહ્યું છે તેમ વધારે લખવા આજે મારી ઈચ્છા નથી. પત્ર કરતાં પ્રત્યક્ષ રીતે જ આની ચર્ચા કરવી વધારે ઉચિત છે. પણ એટલું કહીશ કે મુસ્લીમ વર્ચસ્વ ગમે તેવું હોય, તેને સફળતા કદાપિ મળી શકે તેમ નથી. ઉલટું તેમના કાર્યથી જ તેમના સર્વનાશનું બીજ નંખાઈ ચૂક્યું છે. હા, સંકટ આપણે ઘણાં સહેવા પડશે, ને કપરી ક્ષણોમાંથી સાવચેતીપૂર્વક માર્ગ કરી આગળ વધવાનું રહેશે.

