if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://www.swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ઉત્તરાખંડમાં પ્રસિદ્ધ તીર્થસ્થાન ઋષિકેશથી નરેન્દ્રનગર જવાનો મોટર રસ્તો છે. ખંડની વચ્ચે લગભગ દસેક માઈલનું અંતર છે. ઋષિકેશ પર્વતની તળેટીમાં છે તો નરેન્દ્રનગર છેક પર્વત પર વસેલું છે. રોજ રોજ નરેન્દ્રનગરની ઝગમગતી બત્તીઓ ઠેઠ ઋષિકેશના બજારમાંથી જોઈ શકાય છે. ત્યારે નરેન્દ્રનગર અત્યંત રળિયામણું લાગે છે.

થોડાંક વરસો પહેલાં ઋષિકેશ અને નરેન્દ્રનગરના એ પર્વતીય મોટર માર્ગ પર એક અજબ પ્રકારનો યાદગાર બનાવ બનેલો. એ બનાવ મારી આંખ આગળ તાજો થાય છે.

વાત એમ બની કે ઋષિકેશથી મુસાફરોને લઈને એક મોટરબસ વહેલી સવારે નરેન્દ્રનગર જવા ઉપડી. ઋષિકેશથી ઉપડેલી એ બસ લગભગ પોણે રસ્તે પહોંચી ત્યાં ડ્રાઈવર તથા પેસેન્જરોની નજર થોડેક દૂર પર્વતની ખીણમાં પડી.

ત્યાં એક વાછરડી લીલુંછમ ઘાસ ચરી રહી હતી, એ તો જાણે ઠીક, પણ એનાથી થોડેક છેટે, ઉપરના ભાગમાં, એક વાઘ એની ઉપર તરાપ મારવાની તૈયારી કરતો’તો.

ડ્રાઈવરે એ અસાધારણ, અદ્ ભૂત અનુકંપા ભરેલું દૃશ્ય જોઈને મોટર ઉભી રાખી.

મુસાફરો નીચે ઉતરી ગયા અને આખુંયે દૃશ્ય જોવા લાગ્યાં.

વાઘ થોડેક દૂર હતો છતાં પણ પર્વતના માર્ગ પરથી એ આખુંયે દૃશ્ય બરાબર જોઈ શકાતું હતું.

એટલામાં તો વાઘે વાછરડી પર તરાપ મારી, પરંતુ વાછરડીને વાઘની ખબર ના હોવા છતાં, કોઈક કુદરતી પ્રેરણાથી બરાબર એ જ વખતે એ નીચે બેસી ગઈ, એને લીધે વાઘ પોતાનું માપ ચૂકી ગયો, શરીરનો સંયમ ખોઈ બેઠો, ને વાછરડીના શરીરના ઉપરના ભાગમાંથી જ પસાર થઈને એકદમ નીચે, ઠેઠ ખીણમાં નાના સરખા તળાવ જેવું હતું તેમાં ભરાઈ પડ્યો.

વાછરડીએ વાઘને પોતાના શરીર પરથી એકાએક કૂદકો મારીને પસાર થતો જોયો એથી એ તો સડક જ બની ગઈ ને ગભરાઈ ગઈ.

ગભરાટમાં ને ગભરાટમાં એ પોતાના ઘર તરફ ચાલી નીકળી.

વાઘે પાણીમાંથી બહાર નીકળવાના બનતા બધા જ પ્રયાસો કરી જોયા, પરંતુ એ ફાવ્યો નહિ. પાણી થોડું ઊંડું હતું ને પથ્થર પણ ચીકણાં હોવાથી એ બહાર ના નીકળી શક્યો. થોડોક વખત વ્યર્થ પરિશ્રમ કર્યા પછી એણે બહાર નીકળવાની આશા પણ છોડી દીધી.

મોટરના ડ્રાઈવર નરેન્દ્રનગર જઈને પોલીસને વાઘની માહિતી આપી, તે પ્રમાણે વાઘને પકડવા માટે નરેન્દ્રનગરથી કેટલાક પોલીસો આવી પહોંચ્યા.

વાઘ પણ કાંઈ ઓછો ચતુર હતો ? પોલીસને જોઈને એણે પોતાને મરી ગયેલા બતાવવા માટે આંખ મીંચી દીધી.

પરંતુ પોલીસ પણ ક્યાં પાછા પડે તેવા હતા ? પરિસ્થિતિને પામી જઈને એમણે પાણીમાં ઉપરા ઉપરી પથ્થર નાંખ્યા. એથી વાઘે આંખ ઉઘાડી. એની હિંમત પકડાઈ ગઈ.

પછી તો પોલીસે નીચે પડેલા વાઘને ગોળીઓથી વીંધી નાખ્યો, અને મજબૂત દોરડાથી બાંધેલા ખાટલામાં નીચે ઉતરીને વાઘને ઉપર આણ્યો.

નરેન્દ્રનગર લઈ જઈને એની ચામડી ઉતારવામાં આવી.

નિર્દોષ વાછરડી બચી ગઈ ને એનો નાશ કરવાનો પ્રયાસ કરનાર વાઘ પોતે જ નાશ પામ્યો.

રામ રાખે તેને કોણ મારી શકે ? એ વાત એ પ્રસંગ પરથી સાચી ઠરી. નિર્બળનું બળ રામ છે એ સાચું છે. એ રામ સૌની રક્ષા કરે છે. કદાચ થોડા વખતને માટે ભક્ષક સફળ થાય તો પણ આખરે તો તેનો નાશ જ થાય છે. એ વાતને સમજીને જે ઈશ્વરનું શરણ લેશે ને ન્યાય તથા નીતિના પંથે પ્રયાણ કરશે તેને આરંભમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તો પણ, છેવટે તો તેનો વિજય જ થશે એમાં સંદેહ નથી.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.