Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભારતવર્ષને અને એ દ્વારા સમસ્ત જગતને, અદ્વૈતવાદનો અમર સંદેશો સંભળાવનાર શ્રી આદ્ય શંકરાચાર્યને કોણ નથી જાણતું ? એમના થોડા ઘણા જીવનકાળ દરમિયાન એમણે જે અસાધારણ કામ કર્યું છે, તેણે ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં અમીટ છાપ પાડી છે. એને લીધે એ આજે પણ અમર છે. ઉત્તમોત્તમ બૌદ્ધિક પ્રતિભાથી ભરેલું મગજ, અને એવું જ લાગણીભર, સંવેદનશીલ, ઉત્તમોત્તમ હૃદય, એ એમની વિશેષતા હતી. એ વિશેષતાથી અલંકૃત બનીને, દેશના ચારે ખૂણામાં ફરી વળીને, એમણે ધર્મસિદ્ધાંતોની સંસ્થાપના કરી, અને ધર્મને નામે ચાલતા અધર્મ, વહેમ, જડ ક્રિયાકાંડો, ને વાદો કે સંપ્રદાયોનો વિરોધ કર્યો. ઈશ્વરની સંપૂર્ણ કૃપા વિના આવું અસાધારણ કાર્ય ભાગ્યે જ બની શકે, અને એ પણ આટલા ટૂંકા કે અલ્પ જીવનગાળામાં. શંકરાચાર્ય જો કે સમર્થ જ્ઞાની પુરૂષ હતા છતાં પણ ઈશ્વરકૃપાના એવા પ્રસંગો એમના જીવનમાં અવારનવાર બનતા. એવા જ એક પ્રસંગની આજે આપણે સ્મૃતિ કરીએ છીએ.

એ વખતે શંકરાચાર્ય કાશીનગરીમાં વાસ કરતા. કાશી તો પંડિતો તથા વિદ્વાનોનું ધામ ગણાય. ભારતવર્ષના પ્રકાંડ અને પ્રતિષ્ઠિત પંડિતો ત્યાં વાસ કરે.

ત્યાં રહીને શંકરાચાર્ય બ્રહ્મસૂત્ર પર ભાષ્ય કરે.

બ્રહ્મસૂત્ર તો અત્યંત કઠિન ગ્રંથ. વિદ્વાનોની પણ કસોટી કરનારો, અને મોટા મોટા પંડિતોને પણ મહાત કરનારો. ઉપનિષદોનો સંપૂર્ણ, તલસ્પર્શી અભ્યાસ હોય, તે જ એ અસાધારણ તત્વજ્ઞાનથી ભરેલા ગ્રંથને સમજી પણ શકે. તો પછી તેના પર વિવેચન કરવાની તો વાત જ ક્યાં રહી ?

શંકરાચાર્ય એવી મેઘાથી સંપન્ન હતા. એટલે જ એ કઠિન ગ્રંથ પર આલોચના લખી રહ્યા હતા.

કહે છે કે એ આલોચના પૂરી થઈ ત્યારે, એક દિવસ એક બનાવ બન્યો. કોઈ વૃદ્ધા બ્રાહ્મણે શંકરાચાર્યની મુલાકાત લીધી, ને કહ્યું, 'સાંભળ્યું છે કે તમે બ્રહ્મસૂત્રનું ભાષ્ય લખી રહ્યા છો.’

વાતને છૂપી રાખવાનું કોઈ કારણ નહોતું એટલે શંકરાચાર્યે તરત જ ઉત્તર આપ્યો કે વાત સાચી છે. હું એ મહાન ગ્રંથ પર ભાષ્ય લખી રહ્યો છું.

એ સાંભળીને પેલા વૃદ્ધ પુરૂષે કહ્યું કે બ્રહ્મસૂત્ર પર તો મને પણ પ્રેમ છે. તો તમારું લખેલું ભાષ્ય મને જોવા માટે આપી શકશો ?

શંકરાચાર્યે લખેલા ભાષ્યને રજૂ કર્યું. વૃદ્ધ પુરૂષે એ વાંચવા માંડ્યું. પરંતુ વાંચતા એમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં.

શંકરાચાર્યને ભારે નવાઈ લાગી. એમણે કહ્યું. 'તમે કેમ રડવા લાગ્યાં ? મારું લખાણ તમને ના ગમ્યું ?

'લખાણ છે તો ઘણું જ સરસ.’ વૃદ્ધે ઉત્તર આપ્યો : 'પરંતુ રડવું મને એટલા માટે આવ્યું કે આવી અપ્રતિમ બૌદ્ધિક પ્રતિભાવાળા પુરૂષની ઉંમર માત્ર સોળ જ વરસની છે.’

'એમાં શું ? ’ શંકરાચાર્યે કહ્યું : 'એ તો પ્રારબ્ધની વાત છે. એમાં ફેરફાર થોડો જ થઈ શકે એવો છે ?’

'ફેરફાર કેમ ન થઈ શકે? મહાપુરૂષો તો લેખ પર પણ મેખ મારી શકે છે. તમારા જેવા પુરૂષ વધારે વરસ જીવે, તો સંસારને લાભ તો થાય જ ને ?’

'પણ એવા મહાપુરૂષ ક્યાં મળે ?’

'ઈશ્વરનો અનુગ્રહ હોય તો જરૂર મળે. હું મહર્ષિ વ્યાસ છું અને તમારા પર અનુગ્રહ કરવા માટે જ આવી પહોંચ્યો છું.’

એટલું કહેતામાં તો વૃદ્ધ પુરૂષનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. એમનું શરીર તેજોમય બની ગયું.

શંકરાચાર્યે એમને નમન કર્યું એટલે એમણે કહ્યું, તમારી ઉંમર સોળ જ વરસની છે, પરંતુ મારા આશીર્વાદથી તમે બત્રીસ વરસનું આયુષ્ય ભોગવશો. તમારું જ્ઞાન અપ્રતિમ બનશે, અને એ દ્વારા તમે લોકોનું કલ્યાણ કરશો.’

એ પછી એ મહાપુરૂષ અંતર્ધાન થઈ ગયા.

શંકરાચાર્ય બત્રીસ વરસનું આયુષ્ય ભોગવીને ભૂતલ પરથી વિદાય થયા હતા એ વાત વિદ્વાનો સારી પેઠે જાણે છે.

લેખ પર મેખ મારી શકાય કે કેમ ? એ વિશે લોકોમાં વિવાદ ચાલે છે. આપણે કહીશું કે જે ઈશ્વરી કૃપાપાત્ર, ઈશ્વરતુલ્ય, સમર્થ, મહાપુરૂષો છે, તે લેખ પર મેખ મારી શકે છે અથવા તો પ્રારબ્ધને પણ પલટાવી શકે છે. જોઈએ છે માત્ર એમની કૃપા, અને એ કૃપાની ઉપલબ્ધિ માટેનો અનવરત, અખૂટ પ્રયાસ. પ્રેમ શ્રદ્ધા, ધીરજ, અને હિંમતપૂર્વકનો પ્રયાસ.

- શ્રી યોગેશ્વરજી