મારા જીવનમાં જે સ્નેહ, શાંતિ અને આનંદની સૃષ્ટિ છે તેને નીરખીને લોકો નવાઈ પામે છે, ને પૂછે છે, ‘આટલો બધો આનંદ, રસ ને આટલી બધી સનાતન શાંતિ તમારા જીવનમાં ક્યાંથી છે ?’
એમાંના કેટલાકને ઉત્તર આપું છું, ને કેટલાકની આગળ મૌન રાખવાનું જ પસંદ કરું છું. મારા જીવનનો રસ કદી ખૂટ્યો નથી ને ખૂટવાનોયે નથી; કેમકે તમારી સાથે મેં સંબંધ બાંધ્યો છે. તમે રસેશ્વરી છો. એવું જ મારા જીવનના સ્નેહ, આનંદ, મારી શાંતિનું છે. તમારા અનંત ભંડારમાંથી મને તેનો વૈભવ આપોઆપ મળ્યા કરે છે.
મારા જીવનની રસિકતાનું આ જ રહસ્ય છે : એનાં પ્રેરણાદેવી, ધાત્રી, વિધાત્રી એવાં તમે. પરંતુ એ ગૂઢ વાતને બીજું કોઈ ભાગ્યે જ સમજે છે.
(૭-૩-૧૯૬૦, નડિયાદ)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)