ઉપર વિશાલ ગહન ગંભીર ગગન છે ને નીચે ધરતી. એમાં જો મારું કહેવા જેવું કોઈયે હોય તો છો એક તમે ને તમે જ. તમારા વિના મારું સ્નેહી, સ્વજન, હિતેચ્છુ બીજું કોઈ જ નથી.
વેદના ઋષિએ સૂર્યને પૃથ્વીનો પ્રાણ કહ્યો છે, પરંતુ મારા પ્રાણ તો તમે જ છો. તમે જ છો મારું જીવન, મારો જીવનઆધાર, મને જીવન આપનાર.
તમારી જ હૂંફથી હસું છું. તમારા જ રસમાં રમું છું. તમારા વિના ખરેખર મારું કોઈ જ નથી.
ઉપર વિશાલ ગહન ગંભીર ગગન ને નીચે ધરતી; એમાં મારું કહેવા જેવું બીજું કોઈ જ નથી.
(૨૮-૩-૧૯૬૦, સોમવાર)
-© શ્રી યોગેશ્વરજી (સ્વાતિબિંદુ)