સંસારમાં જે શાંતિ અને આનંદનો અનુભવ સામાન્ય માનવ કરે તેમાં અને પરમાત્માની સાથેના અનુસંધાનને સાધવાથી જે શાંતિ અને આનંદ સાધકને સાંપડે તેમાં આકાશ અને પાતાળનો તફાવત છે. સંસારનાં મનુષ્યોનો આનંદ બાહ્ય વાતાવરણ, બાહ્ય પદાર્થો કે બહારના સંજોગો પર આધાર રાખે છે. જ્યારે મનને સાત્વિક બનાવવાથી, સદગુણી કરવાથી, સુસંસ્કારોથી સંપન્ન કરવાથી અને આત્માના અનુભવને પરિણામે પ્રાપ્ત થયેલ શાંતિ અને આનંદ બહારના પદાર્થો પર નિર્ભર નથી અને તેથી જ એક વાર પ્રાપ્ત થયા પછી તેનો અનુભવ અખંડ રહે છે.






















