ધર્મ અથવા કર્તવ્યના પાલનનો પંથ બધે વખતે નિષ્કંટક અથવા સરળ નથી હોતો. એ પંથે પ્રયાણ કરનારને જાતજાતની ને ભાતભાતની અગ્નિપરીક્ષા કે કસોટીઓમાંથી પસાર થવું પડે છે. એ પંથને તલવારની તીક્ષ્ણ ધાર જેવો કહી શકાય. નિર્બળ મનના માનવો આકરી અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને એ પંથે પગલાં ભરતાં ડરે છે, પરંતુ ધર્મભાવનાથી ભરેલા, કર્તવ્યપાલનના આગ્રહવાળા, ઉત્તમ પ્રકારના મનોબળથી સંપન્ન માનવો, નાનો કે મોટો ભોગ આપવો પડે કે ગમે તેવું કષ્ટ સહન કરવું પડે તો પણ, એ પંથને મૂકવાનો વિચાર નથી કરતા, એ તો આગળ પગલાં ભર્યે જ જાય છે. એમના અંતરમાં પેલું શાસ્ત્રવચન સારી પેઠે અંકિત થઈ ગયું હોય છે કે,
ન જાતુ કામાન્નભયાન્ન લોભાત્, ધર્મ ત્યજેત જીવિતસ્યાપિ હેતો: ।
ધર્મો નિત્યો સુખદુઃખેત્વનિત્યે, જીવો નિત્યો હેતુરસ્ય ત્વનિત્ય:॥
'કોઈ પ્રકારની કામનાથી પ્રેરાઈને, ભયને લીધે, લોભથી કે જીવનની લાલસાથી પણ કદી ધર્મનો ત્યાગ ના કરવો. ધર્મ નિત્ય છે ને સુખ તથા દુઃખ તો અસ્થાયી છે, આત્મા અમર છે પરંતુ શરીર અનિત્ય છે.'
ભારતમાં એવા કર્તવ્યવત, ધર્મપરાયણ સ્ત્રીપુરુષો કેટલાંય થઈ ગયાં છે જેમણે કર્તવ્યને હંમેશા મહત્વનું સ્થાન આપ્યું છે, ને એને માટે જરૂર પડ્યે મોટી મોટી યંત્રણાઓ વેઠવામાં અને શરીરની આહુતિ આપવામાં પણ પાછી પાની નથી કરી, અને એ પણ હસતે મોઢે. ઈતિહાસમાં એમના નામ અમર છે ને સુવર્ણાક્ષરે અંકિત થયેલાં છે.
શીખ ધર્મમાં થઈ ગયેલા ગુરુ ગોવિંદસિંહ એમનામાંના એક હતા અને એમના પુત્રો પણ એવા જ પ્રતાપી હતા.
ગુરુ ગોવિંદસિંહને ધર્મને માટે ભારેમાં ભારે બલિદાન આપવા પડેલાં, છતાં પણ એ મહાપુરુષે પોતાની નિષ્ઠાનો ત્યાગ નહિ કરેલો.
સિંહના સંતાનો જેમ શિયાળ નહિ પણ સિંહ જ જન્મે તેમ એમના સુપુત્રો પણ એમના જેવા જ પરાક્રમી નીકળ્યા.
ગુરુ ગોવિંદસિંહ પ્રત્યેના દ્વેષભાવથી પ્રેરાઈને એક વાર સરહિંદના નવાબે એમના બે નાના પુત્રોને પોતાની પાસે બોલાવ્યા.
નવાબે એ બંને બાળકોને મુસલમાન બનવાની આજ્ઞા કરી, પરંતુ ધર્મપ્રેમી બહાદુર બાળકોએ એ આજ્ઞાનો અસ્વીકાર કર્યો.
નવાબે એમને ભાતભાતના પ્રલોભનો બતાવ્યાં તો પણ એ મક્કમ અને અડગ રહ્યા. પ્રલોભનો, ભય, ધમકી કે લાલચ એમની પોતાના ધર્મની નિષ્ઠામાં સહેજ પણ ફેર ના પાડી શકી.
એમના ધર્માંતરનો કોઈયે ઉપાય શેષ ના રહ્યો ત્યારે છેવટના શસ્ત્ર તરીકે નવાબે એમને દીવાલમાં જીવતા જ ચણી દેવાનો હુકમ કર્યો.
એ ભયંકર હુકમ પણ બાળકોને ના ડગાવી શક્યો. એમના દિલ એવા જ મક્કમ રહ્યાં.
સરહિંદના નવાબના કઠોર આદેશાનુસાર દીવાલ ચણવાની શરૂઆત કરવામાં આવી ને ચણતરની વચ્ચે ગુરુ ગોવિંદસિંહના બંને પુત્રોને ઊભા રાખવામાં આવ્યા.
નવાબે કહ્યું, 'છોકરાઓ, જક્કી થઈને એકની એક વાતને વળગી રહેવાને બદલે મુસલમાન બનીને જાન બચાવી લો. હાથે કરીને શા માટે મૃત્યુના મુખમાં પડી રહ્યા છો ?
બાળકો બોલ્યા, 'જક્કી થઈને એકની એક વાતને અમે નથી વળગી રહ્યા પણ તમે વળગી રહ્યા છો. અમારું ધર્માંતર કરાવવાના ગાંડપણને છોડી દો તો કોઈ પ્રશ્ન જ નથી. બાકી અમે મૃત્યુથી જરાપણ નથી ડરતા. ધર્મને માટે મરવું પડશે તો પણ એ મૃત્યુ અમારે માટે મંગલકારક થઈ પડશે.'
દીવાલ વધારે ને વધારે ચણાતી ચાલી.
બાળકો એવા જ અડગ અને નિર્ભય રહ્યા.
છાતી સુધી દીવાલ આવી પહોંચી એટલે આખુંયે દૃશ્ય કરુણ બની ગયું.
એ વખતે મોટા બાળકનું હૃદય ભરાઈ આવ્યું અને એની આંખમાંથી અશ્રુ ટપકી પડ્યાં.
એ જોઈને નાનો બાળક ગળગળો બની ગયો ને બોલ્યો, 'કેમ ? મરવાનું નથી ગમતું કે શું ? આંખમાં આંસુ કેમ આવ્યાં ?'
'આંસુ આવવાનું કારણ જુદું છે.' મોટા ભાઈએ સ્પષ્ટીકરણ કર્યું, 'ધર્મને માટે તું મારા કરતા નાનો હોવાથી વહેલો ચણાઈ જઈશ કે વહેલો મરીશ એ વિચારીને મને ઓછું આવે છે. હું તારા કરતાં નાનો હોત તો કેવું સારું થાત ?'
નવાબના હુકમથી એ બંને સુકોમળ બાળકો પર દીવાલ ચણાઈ ગઈ, પરંતુ એથી શું ? એમનો ધર્મપ્રેમ, જુસ્સો, આત્મત્યાગ અથવા બલિદાનભાવ અમર બની ગયો.
ધન્ય છે બાળકો ! ધન્ય એ સુપુત્રો !
એમનાં જીવન અનંત કાળ સુધી અનેકોને પ્રેરણા પાતાં રહેશે, અનેકને બળ ધરશે, અને અનેકના અંધકારથી આવૃત્ત જીવનમાં જ્યોતિ ભરશે.
- શ્રી યોગેશ્વરજી